સમૂહલગ્નો ગરીબ અને મધ્યમવર્ગીય માતા-પિતા માટે આશીર્વાદરૂપ બન્યા છેઃ સાસંદ સી.આર.પાટીલ

આ પ્રસંગે સાંસદશ્રી સી.આર.પાટીલે સમૂહલગ્નના આયોજન થકી આદિવાસી સમાજની ગરીબ દીકરીઓના લગ્નનું અનેરૂ સેવાકીય કાર્ય કરવા બદલ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ઘણા કિસ્સાઓમાં ગરીબ આદિવાસી પરિવારો પોતાનું ઘર અને જમીનને ગીરવી મૂકી દીકરા-દિકરીના લગ્ન કરાવે છે

Advertisement

સુરત :  આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા માંડવી ખાતે આયોજિત પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં ૧૬૩ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. માંડવી સ્થિત બજરંગ પાર્ક સામે, હનુમાનજી મંદિર પાસે, માંડવી-ઝંખવાવ રોડ ખાતે આયોજિત પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ સર્વશ્રી સી.આર.પાટિલ અને પ્રભુભાઈ વસાવાએ પણ ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલા પાડનારા નવદંપતિઓને સુખી લગ્નજીવનના આશીર્વચન પાઠવ્યા હતા.

આ પ્રસંગે સાંસદશ્રી સી.આર.પાટીલે સમૂહલગ્નના આયોજન થકી આદિવાસી સમાજની ગરીબ દીકરીઓના લગ્નનું અનેરૂ સેવાકીય કાર્ય કરવા બદલ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ઘણા કિસ્સાઓમાં ગરીબ આદિવાસી પરિવારો પોતાનું ઘર અને જમીનને ગીરવી મૂકી દીકરા-દિકરીના લગ્ન કરાવે છે, અને વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈને દેવાદાર બની જાય છે, ત્યારે આવી સમસ્યાના નિવારણ માટે સમૂહલગ્નો ગરીબ અને મધ્યમવર્ગીય માતા-પિતા માટે આશીર્વાદરૂપ બન્યા છે.

આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ પ્રભુતામાં પગલા પાડનાર ૧૬૩ નવયુગલોને ઉજ્જવળ દામ્પત્યજીવનની શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે, સમાજ એક બનીને આગળ વધશે તો પ્રગતિ કરતા કોઈ રોકી શકશે નહી. સેવાભાવી નાગરિકો, સમાજ અને સંસ્થાઓ સારા ઉદ્દેશ સાથે આગળ વધતા હોય તો સરકાર  હરહંમેશા તેમને સહકાર આપવા તત્પર છે.

શ્રી હલપતિએ વધુમાં જણાવ્યું કે, આમજનતા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો લઈને પ્રગતિ કરી રહી છે. કરકસરના પ્રતિકરૂપ સમુહલગ્નોથી એકતાનો ભાવ પ્રગટ થાય છે. લગ્નમાં જોડાનાર પરિવારને આર્થિક બચત થતી હોય છે. બચતના નાણા બાળકોના શિક્ષણ,આરોગ્ય પાછળ ખર્ચ કરી શકાય છે એમ તેમણે જણાવ્યું હતું.

શ્રી પાટીલે દિકરીના જન્મથી તેના લગ્ન, પ્રસૂતિ, સંતાનોના ઉછેર અને અભ્યાસ માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેનો બહોળો લાભ મેળવવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. ઈશ્વરના આશીર્વાદરૂપ દીકરા કે દીકરી; જેનો પણ જન્મ થાય તેનો સ્વીકાર કરી ભેદભાવ વિના ઉછેર અને શિક્ષણ આપવા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, સમાજમાં શિક્ષણની ભૂખ ઉઘડી છે. પૈસાના અભાવે કોઈ દીકરીઓના લગ્ન થતા રહી ન જાય તે માટે સમાજઅગ્રણીઓએ સમુહલગ્નોત્સવ યોજી રહ્યા છે,  તે બદલ સૌ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. કોરોનાના કપરા કાળમાં સમાજના ડોકટરોએ સેવાપરાયણતાના ભાવ સાથે દર્દીઓની કરેલી સેવાને બિરદાવી સૌને શ્રેષ્ઠ સમાજના નિર્માણમાં સહભાગી બનવાનો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી ઈશ્વરભાઈ પરમાર, સંદિપ દેસાઈ, મોહનભાઈ કોંકણી, સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંહ પટેલ તેમજ મોટી સંખ્યામાં નવયુગલો, પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement