અદાણી ફાઉન્ડેશન અને કે.વી.કે સુરત દ્વારા ઉમરપાડાના આદિવાસી ખેડૂતો માટે જૈવિક ખેતી જાગૃતિ શિબિર યોજાઈ

ખેડૂતોને નિઃશુલ્ક ડાંગર બિયારણનું વિતરણ થયું

Advertisement

સુરત : સુરત જિલ્લાનો ઉમરપાડા છેવાડાનો તાલુકો છે, જંગલની વચ્ચે આવેલા ઉમરપાડાના અંતરિયાળ વિસ્તારમાં ખેતી કરતાં આદિવાસી ખેડૂતો જૈવિક ખેતી તરફ વળે એ માટે જાગૃતિ શિબિરની સાથે તેઓ સારી ગુણવત્તાનું ડાંગર પકવે એ માટે નવસારી કૃષિ યુનિવર્સિટી અને અદાણી ફાઉન્ડેશન હજીરાએ ભેગા મળીને 200 ખેડૂતને દેવલી કોલમ જી.આર.-૧૮ બિયારણ વિશે ની માહિતી સાથે એ જ દેવલી કોલમના બિયારણનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું.

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઘાણાવડ ગામ ખાતે ખેતી અંગેના વિવિધ મુદ્દાઓને આવરી લઈને એક જાગૃતિ શિબિર યોજાઇ હતી. શિબિરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.જનકભાઈ રાઠોડ, સુનિલ ત્રિવેદી, ધવલભાઈ પટેલ, અદાણી પોર્ટ હજીરાના કોર્પોરેટ અફેર્સ હેડ  ભાવેશભાઈ દોંડા, અદાણી ફાઉન્ડેશન, હજીરાના સી.એસ.આર હેડ પ્રિયેશભાઇ રાઠોડ હાજર રહ્યા હતા. અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આયોજિત આ ખેડૂત જાગૃતિ કાર્યક્રમમાં નવસારી યુનિવર્સિટી અંતર્ગત ચાલતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતના કૃષિ વૈજ્ઞાનિક, નિષણાંત વકતાઓએ ખેતી વિષયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ખેડૂતોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. ખેડૂત જાગૃતિ અંગેના આ કાર્યક્રમમાં ઉમરપાડાના ઘાણાવડ, ચોખવાડા, પાંચ આંબા, આંધલી કુવા, અને ઉમરગોટ ગામના ૨૦૦ જેટલા ખેડૂતોએ હાજર રહીને માર્ગદર્શન મેળવ્યું હતું.

કાર્યક્રમમાં નવસારી યુનિવર્સિટી અંતર્ગત ચાલતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતના વૈજ્ઞાનિકોએ દેવલી કોલમ જી.આર-૧૮ જાત વિશે માહિતી અને વાવણી સમયે ધ્યાને લેવાના મુદા તેમજ, ખેતીમાં આવતી વિવિધ જીવાત નિયંત્રણ, હવામાન વિશે તેમજ ઉમરપાડા તાલુકામાં થતાં ડાંગર, મગ, તલ, મગફળી અને શેરડીમાં ખર્ચ ઘટાડી ઉત્પાદન કઈ રીતે વધારી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખેડૂત જાગૃતતા કાર્યક્રમમાં હાજર ૨૦૦ ખેડૂતને બે-બે કિલો દેવલી કોલમ જી. આર -૧૮ જાતની ૪૦૦ કિલો ડાંગર ના બિયારણ નું વિતરણ નવસારી કૃષિ યુનિવર્સિટીના કેવિકે,સુરત દ્વારા કરવામાં આવ્યું હતું. આ બિયારણ આવનારા ત્રણ વર્ષ સુધી ખેડૂતને ઉપયોગી થશે જે એમનો ખેતી ખર્ચ ઘટાડીને આવક વધારનાર બનશે.

Advertisement